ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને તાલુકા હેલ્થ કચેરી સિહોર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર દ્વારા આરોગ્ય મેળાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા – જુદા વિભાગના આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ લાવવામાં આવનાર છે.

તે અન્વયે આવતીકાલે એટલે કે, સોમવારે સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ કલાક સુધી સિહોર ખાતે આવેલા ટાઉનહોલ ખાતે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વલ્લભીપુર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય મેળામાં પી.એમ.જે.વાય. ‘માં’ યોજનાના નવા કાર્ડ કાઢી આપવામાં આવશે.આ માટે લાભાર્થીએ આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે આવવાનું રહેશે.

તેમજ હાઇ બી.પી.ડાયાબિટીસ તેમજ સામાન્ય દર્દીની તપાસ- સારવાર, લેબોરેટરી, ટી.બી. રોગ અંગે જનજાગૃતિ, ચેપી, બિનચેપી રોગો અંગે જનજાગૃતિ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં યોગ અને પ્રાણાયામ તથા જીવનશૈલીને સુધારવા માટે શું ખાવું ? શું ના ખાવું ? તે અંગે જાગૃતિ લાવવામાં આવશે.

આ ઉપરાંત હેલ્થ આઇ.ડી. કાર્ડ, કુટુંબ નિયોજન કાયમી- બિનકાયમી પદ્ધતિ અંગેની માહિતી આપવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પ અને અંગદાન – મહાદાન કઈ રીતે કરવું તેની માહિતી પણ આપવામાં આવશે.

જીવનમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે રોજિંદા જીવનની ક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ અંગેની જાગૃતિ પણ આ મહા અભિયાન અંતર્ગત આપવામાં આવશે.

આ આરોગ્ય મેળાનો લાભ લેવા માટે જિલ્લા આરોગ્યતંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ.કે.તાવિયાડ અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી મનસ્વીનીબેન માલવિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment